ગુજરાત રાજ્ય તલાટી મંડળ છેલ્લા કેટલાક વર્ષોથી તેમની પડતર માંગણીઓને લઈને લડત આપી રહ્યુ છે. અગાઉ ગુજરાત રાજ્ય તલાટી કમ મંત્રી મહામંડળે તેમની વિવિધ માંગણીઓ નહીં સંતોષાતા આગામી દિવસોમાં લડત આપવા કાર્યક્રમો યોજ્યા હતા. જે અંતર્ગત મુખ્યમંત્રીને આવેદનપત્ર આપ્યુ હતુ.
દરમિયાન આજરોજ રાજ્યના તમામ જિલ્લા તલાટી કમ મંત્રી મંડળ દ્વારા આવેદનપત્ર અપાયુ હતુ. જે અંતર્ગત ઝઘડીયા તલાટી મંડળ દ્વારા નાયબ કલેકટર ઝઘડિયા, ટીડીઓ અને મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યુ હતું, એ જ સમયે રાજ્યના તમામ તલાટી કમ મંત્રીઓએ તેમની રજૂઆત મુજબના પડતર પ્રશ્નોનું નિરાકરણ ન આવે ત્યાં સુધી પોતાના ખાનગી મોબાઈલમાં સરકારી કચેરી કે અધિકારી કર્મચારી સાથે જોડાયેલા તમામ વોટસએપ ગ્રુપમાંથી એક સાથે રીમુવ થયા હતા, તેમજ વોટ્સએપના માધ્યમથી કોઈપણ જાતની માહિતી કે પ્રત્યુત્તર તાલુકા, જિલ્લા કે અન્ય કચેરીને વ્યક્તિગત પણ આપશે નહીં તેમ જણાવ્યુ હતું. ગુજરાત રાજ્ય તલાટી મંત્રી મંડળ દ્વારા આગામી તા. ૨૦.૯.૨૧ ને સોમવારે રાજ્યનાં તમામ તલાટી કમ મંત્રીઓ કાળી પટ્ટી ધારણ કરી પોતાની ફરજ બજાવશે. અને તા.૨૭.૯.૨૧ સોમવારે રાજ્યનાં તમામ તલાટી ફરજ પર હાજર રહી પેન ડાઉન કાર્યક્રમ કરશે. તા.૧.૧૦.૨૧ ને શુક્રવારે માસ સીએલ મૂકી સ્થાનિક તાલુકા કચેરીએ બેનર સાથે દેખાવ કરશે તથા તે દિવસથી રાજ્યના તમામ તલાટી કમ મંત્રીઓ તમામ પ્રકારની ઓનલાઇન કામગીરી તથા મહેસુલી કામગીરીનો પડતર પ્રશ્નોનું નિરાકરણ ન થાય ત્યાં સુધી બહિષ્કાર કરશે. ઉપરાંત તા.૭.૧૦.૨૧ ને ગુરુવારે રાજ્યના તમામ તલાટી કમ મંત્રીઓ ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે એક દિવસ ધરણા કરશે અને તેમ છતાં પ્રશ્નોનો નિકાલ ન થાય તો અચોક્કસ મુદતની હડતાળનું એલાન કરવામાં આવશે એમ આજરોજ ઝઘડીયા તાલુકા પંચાયત કચેરી ખાતે એકત્ર થયેલા ઝઘડિયા તાલુકાના તલાટી કમ મંત્રીઓ દ્વારા લેખિતમાં જણાવાયુ હતું.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ