જિલ્લા કલેકટર આર.બી.બારડે વડોદરા જિલ્લાના ભાયલી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે જાતે ત્રીજા પ્રિકોશન ડોઝની રસી મુકાવી જિલ્લાના ગ્રામ વિસ્તારમાં લાયક લોકોને તૃતીય ડોઝનું સુરક્ષા ચક્ર પ્રદાન કરવાના અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો. આ ડોઝ હેઠળ ફ્રન્ટ લાઇન વર્કર, હેલ્થ વર્કર અને અન્ય ગંભીર બીમારીઓ ધરાવતા ૬૦ અને તેથી વધુ ઉંમરના અને નિર્ધારિત બીજો ડોઝ લીધાની તારીખથી ૩૯ સપ્તાહ એટલે નવ મહિનાનો સમય પૂરો થઈ ગયો છે તેવા લોકો આ તૃતીય તકેદારી ડોઝ લેવાને પાત્ર છે.
જે લોકો તૃતીય પ્રિકોશન ડોઝ લેવાને પાત્ર થઈ ગયાં છે એ તમામ લોકો સત્વરે તકેદારી ડોઝ લઈ લે એવો અનુરોધ કરતાં કલેકટર એ જણાવ્યું કે કોરોના વધી રહ્યો છે ત્યારે માસ્ક પહેરવું, સેનેટાઈઝરનો ઉપયોગ, વારંવાર હાથ સાબુથી ધોવા અને ભીડભાડનો ભાગ ન બનવાની તકેદારી સૌ લે. તેમણે તરુણ રસીકરણ જિલ્લામાં સત્વરે ૧૦૦ ટકા પૂરું થઈ જવાની અપેક્ષા વ્યક્ત કરવાની સાથે આ આયોજન માટે જિલ્લા આરોગ્ય તંત્રને અભિનંદન આપ્યા હતા.
મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.સુરેન્દ્ર જૈને જણાવ્યું કે કોરોના વધી રહ્યો છે ત્યારે જેમણે હજુ પહેલો કે બીજો ડોઝ લીધો નથી તેઓ સત્વરે કોરોના રસી મુકાવે એવો ખાસ અનુરોધ કર્યો હતો. તેમણે જણાવ્યું કે,ત્રીજા ડોઝ માટેની લાયકાત ધરાવતા જિલ્લાના ૩૦ હજાર થી વધુ લોકોને રસી મૂકવાની સાથે જિલ્લામાં તરુણોનું અને નિયમિત રસીકરણ ચાલુ જ છે. આ પ્રસંગે તાલુકા આરોગ્ય અમલદાર ડો.નીરજે સૌને આવકાર્યા હતા.