મોટીકોરલ ગામમાં આવેલા આશાપુરા માતાનું મંદિરમાં મળસ્કે ત્રણ વાગ્યાની આસપાસ ભીષણ આગ ભભુકી ઉઠતા ભારે અફરાતફરી સાથે દોડધામ મચી જવા પામી હતી. આગના પગલે ઉત્તેજના વ્યાપી જવા પામી હતી. મંદિરમાં આગ લાગતા મંદિરમાં આરામ કરી રહેલા પૂજારી મુન્ના મહારાજ ફસાઇ ગયા હતા. મંદિરની જાળી ન ખુલતા તેઓએ બુમરાણ મચાવતા ગામ લોકો દોડી આવ્યા હતા અને મંદિરના મહારાજને જાળી ખોલી બહાર કાઢી બચાવી લીધા હતા.
કરજણ અને વડોદરા ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા તુરત જ ફાયર ફાઇટરો ઘટના સ્થળે પહોંચી ગયા હતા. એક કલાક સતત પાણી મારો ચલાવી આગને કાબુમાં લેવામાં આવી હતી.
જોકે આગ સંપૂર્ણ કાબુમાં આવે તે પહેલાં માતાજીની મુર્તિઓને બાદ કરતા તમામ સામાન બળીને ખાક થઇ ગયો હતો. આ બનાવે ગામમાં ભારે ઉત્તેજના વ્યાપી જવા પામી હતી. લોકોના ટોળેટોળા મંદિરે પહોંચી ગયા હતા. આગના બનાવનું ચોક્કસ કારણ બહાર આવ્યું નથી પરંતુ આગ શોર્ટ સર્કીટના કારણે લાગી હોવાનું પ્રાથમિક અનુમાન લગાવાઈ રહ્યું છે.
આશાપુરા માતાજીના ઐતિહાસિક અને પૌરાણિક મંદિરમાં આજે સવારમાં ત્રણ વાગ્યાના સુમારે શોર્ટ સર્કિટના કારણે આગ લાગતા પૂજારી મુન્નાભાઈની ઘર વખરી પણ નાશ પામી હતી અને આગથી મોટું નુકશાન થવા પામ્યું હતું. ઘટનાની જાણ થતાં કરજણના પૂર્વ ધારાસભ્ય સતીષભાઈ પટેલ (નિશાળિયા), કરજણ તાલુકા ભાજપ પ્રમુખ જયદીપસિંહ ચૌહાણ, કરજણ તાલુકા ભાજપ ઉપપ્રમુખ જયદીપસિંહ રાણા, કોષાધ્યક્ષ મનોજભાઈ પંડયા સ્થળ પર મુલાકાત લઇ લાગતા – વળતા અઘિકારીઓને સૂચના આપી હતી.
યાકુબ પટેલ, કરજણ
વડોદરા : કરજણનાં મોટી કોરલ ગામમાં આવેલા આશાપુરા માતાના મંદિરમાં ભીષણ આગ ભભૂકી ઉઠતા દોડધામ.
Advertisement