કરજણ જુનાબજાર સ્થિત તળાવમાંથી એક અજાણ્યા ઈસમનો તેમજ જુનાબજાર ઓવરબ્રિજ પાસે રેલવે પાસે આવેલા ખાડામાંથી અન્ય એક ઈસમ મળી બે ઇસમોના મૃતદેહો મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર કરજણ નગરના જુનાબજારનાં વિસ્તારમાં આવેલા તળાવમાંથી એક અજાણ્યા ઈસમનો મૃતદેહ પાણીની સપાટી પર તરતો દેખાયો હતો. જેની જાણ ફાયર વિભાગને કરાતા ફાયર ઓફિસર સહિત ફાયર વિભાગના કર્મીઓએ સ્થળ પર દોડી આવી મૃતદેહને પાણીની બહાર કાઢ્યો હતો.
જ્યારે અન્ય એક ઈસમનો મૃતદેહ રેલવે પાસેના ખાડામાંથી મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. ઘટનાની જાણ વાયુવેગે પ્રસરતા લોકટોળા ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા. કરજણ પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી. મૃતદેહો બાબતે વધુ તપાસ કરતા રેલવે પાસેના ખાડામાંથી મળી આવેલા મૃતદેહની ઓળખ રમણભાઈ રંગપુરિયા ઉ. વ. આશરે 70 વર્ષ અને તેઓ અક્ષરપાર્ક નવાબજાર કરજણના હોવાનું જાણવા મળ્યું હતું.
અન્ય એક મૃતક ઈસમ કોઈ ભિક્ષુક જેવો હોય એવી લોકમુખે ચર્ચાઓ થઈ રહી હતી તથા તેની કોઈ માહિતી પ્રાપ્ત થઇ શકી નથી. પોલીસે પંચનામું કરી રમણભાઈ રંગપુરિયા નામના ઈસમનો મૃતદેહ તેઓના વાલીવારસોને સુપ્રત કર્યો હતો. હાલ તો બન્ને ઈસમોના મોત કયા કારણોસર થયા તે રહસ્ય અકબંધ રહેવા પામ્યું છે. કરજણ નગરમાં એક સાથે બે મૃતદેહો મળવાની ઘટનાએ લોકોમાં તરહ તરહની ચર્ચાઓ ઉઠવા પામી હતી અને સમગ્ર મુદ્દો કરજણ નગરમાં ટોક ઓફ ધ ટાઉન બનવા પામ્યો હતો.
યાકુબ પટેલ, કરજણ