સુરત જિલ્લા કલેક્ટર આયુષ ઓકના અધ્યક્ષસ્થાને જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિ(વાસ્મો) ની બેઠક યોજાઈ હતી. બેઠકમાં ‘જલ જીવન મિશન’ અંતર્ગત જિલ્લાના ૧૦ ગામોની ૩૭૫૫ ઘરોને આવરી લેતી રૂ.૨૭.૦૪ કરોડના ખર્ચે પીવાના પાણીની ગ્રામીણ પેયજળ યોજનાઓને મંજૂરી આપવામાં આવી છે.
બેઠકમાં કામરેજ ગામ, ઉભેળ, માંગરોળ તાલુકાનું મોસાલી અને કોસંબા, ઓલપાડ તાલુકાના કુડસદ, કીમ અને સાયણ, પલસાણા તાલુકાના પલસાણા ગામ, ચલથાણ અને વરેલી મળી કુલ ૧૦ મોટા ગામોમાં પાણી પુરવઠાની યોજનાઓને મંજૂરી આપવામાં આવી હતી. જેનાથી આ ગામોની ૧૯૪૨૭૫ વસ્તીને સીધો ફાયદો થશે. આ સાથે સમગ્ર સુરત જિલ્લામાં પાણી પુરવઠાની યોજનાઓને ૧૦૦ ટકા મંજુરી આપવામાં આવી છે. જેના પરિણામે આગામી સમયમાં જિલ્લાની સંપૂર્ણ વસ્તીને પીવાના પાણીની સુવિધા ઉપલબ્ધ થશે.
જિલ્લામાં જલ જીવન મિશન અંતર્ગત જિલ્લાના કોઇપણ ગામનું ઘર પીવાનાં પાણી માટેના નળ જોડાણ વિનાનું ન રહે તે માટે વાસ્મો દ્વારા સુચારૂં આયોજન ઘડી કાઢવામાં આવ્યું છે. વાસ્મોના કાર્યપાલક ઈજનેરે માહિતી આપતા જણાવ્યું હતું કે, સમગ્ર જિલ્લાના ૫૧૩ ગામોમાં ૩,૭૦,૩૫૮ નળ જોડાણ આપીને ૯૨.૭૬ ટકા કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. જયારે ૧૯૭ ગામોમાં ૨૨૨૫૦ ઘર જોડાણોની કામગીરી પ્રગતિ હેઠળ છે. જિલ્લા કલેકટરે પ્રગતિ હેઠળની યોજનાઓ ઓકટોબર માસ સુધીમાં પૂર્ણ કરવા અને ક્રોસ વેરિફિકેશન દ્વારા કામગીરીની ચકાસણી કરવા તાકીદ કરી હતી.
બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી ડી.એસ.ગઢવી, સભ્ય સચિવ અને કાર્યપાલક ઈજનેર આર.જી.ચૌધરી, યુનિટ મેનેજર અંકિત ગરાસીયા, કા..ઈ.(યાત્રિક વિભાગ) એસ.બી.વસાવા, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.એચ.જે.ચૌધરી, આઈ.સી.ડી.એસ.ના પ્રોગ્રામ ઓફિસર દક્ષાબેન, વાસ્મોના જિલ્લા સંયોજક લવજીભાઈ સોલંકી, માહિતી વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
વિનોદ મૈસુરિયા : વાંકલ