નર્મદા જિલ્લો આદિવાસી વિસ્તાર છે.અને નર્મદા જિલ્લામાં આદિવાસીઓની મોટી વસ્તી છે. ત્યારે આજે નવમી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ હોઈ આજે નર્મદાના પાંચેય તાલુકામાં આદિવાસી દિવસની વિવિધ રીતે ઉજવણી કરવામાં આવી હતી. રાજપીપળામાં ભીલ રાજાના પ્રતિમાથી આદિવાસીઓને રેલી નીકળી હતી. રાજપીપલા ઉપરાંત ડેડીયાપાડા, તિલકવાડામાં પણ આદિવાસીઓની રેલી નીકળી હતી. ઢોલ, નગારા, ત્રાસા વાજીંત્રો સાથે પરંપરગત આદિવાસી નૃત્યની રમઝટ બોલાવી હતી.
રાજપીપળા રેલીમાં લોકસભાનાં સાંસદ નાબા કુમાર સરનીયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે આદિવાસી આગેવાનો ડો. પ્રફુલ વસાવા, ભરતભાઈ વસાવા, રાજ વસાવા, મહેશભાઈ વસાવા રેલીમાં જોડાયા હતા. ૯ ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી સાગબારાના સેલંબામાં જિલ્લા કક્ષાનાં કાર્યક્રમનું આયોજન કરેલ હતું જેમાં બિરસા મુંડાનાં પૌત્ર અને પ્રપૌત્ર ખાસ ઉપસ્થિત રહ્યા હતા. રેલી એકલવ્ય ચોકથી આંબેડકર ચોક- સફેદ ટાવરથી નંદરાજાની પ્રતિમા સુધી નીકળી હતી.
જયારે સેલંબામાં બિરસા મુંડાની વિશાળ કાંસ્ય પ્રતિમાને આદિવાસી સમાજનાં સહકારથી મુકવામાં આવી હતી. તિલકવાડા, ગરુડેશ્વર ડેડીયાપાડા ખાતે પણ આદિવાસીઓના વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. જેમાં આદિવાસીઓનું પરંપરાગત આદિવાસી આદિવાસીઓના પોશાક સાથે સજ્જ થઈને ઢોલ નગારા સાથે આદિવાસીઓએ ખભેખભા મિલાવીને નૃત્ય કર્યું હતું. ડેડીયાપાડા ખાતે આદિવાસી નેતા પૂર્વ વન મંત્રી અને પૂર્વ ધારાસભ્ય મોતીભાઈ આદિવાસી નૃત્યમાં જોડાયા હતા. રાજપીપળા ખાતે આદિવાસી દિવસની ઉજવણીમાં વિવિધ ક્ષેત્રમાં સારી કામગીરી કરનાર આદિવાસીઓનું સન્માન પણ કરવામાં આવ્યુ હતું. તો નાંદોદ તાલુકાના બોરીદ્રા ગામે પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ અને આદિવાસી ગ્રામજનોએ ભેગા મળીને આદિવાસી દિવસની ઉજવણી કરી હતી જેમાં શાળાના આચાર્ય અનિલ મકવાણાએ આદિવાસીઓના ગીતો ગવડાવ્યા હતા.
દીપક જગતાપ, રાજપીપલા