ભરૂચ બાદ દહેજમાં માનવ અંગના અવશેષ મળ્યા
દહેજના મીઠાના અગર માં માનવ હાથના બે કંકાલ મળતા ચકચાર
દહેજ પોલીસે મામલામાં તપાસ શરૂ કરી
માનવ કંકાલના અન્ય ભાગ શોધવાની કવાયત
ભરૂચ.
ભરૂચમાં ગટરમાંથી માનવ અંગો મળી આવવાની ઘટના બાદ હવે દહેજ પંથકમાં મીઠાના અગર માંથી બે માનવ હાથ ના કંકાલ મળી આવતા ચકચાર જામી છે.
ભરૂચ શહેરમાં જીઆઇડીસી વિસ્તારની ગટરમાંથી માનવ અંગના ટુકડા મળી આવવાની ઘટના લોકોના માનસ પટલ પર હજી તાજી છે ત્યાં દહેજ વિસ્તારમાં આવેલા એક મીઠાના અગર માં બે માનવ હાથના કંકાલ મળી આવવાની ઘટના સામે આવતા ભારે ચકચાર મચી ગઈ છે. ઘટનાની જાણ થતા દહેજ પોલીસ નો કાફલો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યો હતો. પોલીસે એફએસએલ ટીમ ની મદદથી તપાસ કરતા બંને હાથ શરીરમાંથી છૂટા થયેલા હોવાનું પ્રાથમિક તબક્કે જણાઈ આવ્યું છે. ત્યારે પોલીસે હાલમાં માનવ હાથના બંને કંકાલ સુરક્ષિત રીતે રિકવર કર્યા છે. ઉપરાંત શરીરના અન્ય ભાગ વિસ્તારમાં શોધવાની કવાયત હાથ ધરી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ભરૂચમાં તાજેતરમાં જ મિત્રએ મિત્રની હત્યા કરીને તેના શરીરના નવ ટુકડા કરે કરી ભોલાવ જીઆઇડીસીની ગટરોમાં ફેંકી દઈ નિકાલ કર્યો હતો. ત્યારે દહેજ માં મીઠાના અગર વિસ્તારમાં દૂર દૂર સુધી અગરિયાઓ સિવાયના લોકોની અવરજવર હોતી નથી. ત્યારે આ કંકાલ કોઈ અગરિયા નું અંતરિયાળ વિસ્તારમાં આકસ્મિક કે અન્ય કોઈ રીતે મોત થવાના કારણે તેના કંકાલ બન્યા છે કે પછી કોઈની હત્યા કર્યા બાદ મૃતદેહ નો નિકાલ કરવામાં આવ્યો છે તે સહિતના અનેક તર્ક-વિતર્ક સર્જાઈ રહ્યા છે.