ભરૂચ જિલ્લાના પાલેજ સ્થિત કે પી એસ સ્કૂલ ખાતે વડોદરા રેન્જના આઇજીપી ની અધ્યક્ષતામાં લોક દરબાર કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમના પ્રારંભે ભરૂચ નાયબ પોલીસ અધિક્ષકે હાજરજનોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું. ત્યારબાદ ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક ડૉ. લીના પાટીલે આઇ જી પી નું પુષ્પગુચ્છ અર્પણ કરી સ્વાગત કર્યું હતું તેમજ કે પી એસ સ્કૂલના સંચાલક શિવરામ અગ્રવાલે પણ આઇ જી પી નું મોમેન્ટો અર્પણ કરી સ્વાગત કર્યું હતું.
ત્યારબાદ ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક ડો. લીના પાટીલે હાજરાજનોને સંબોધતા જણાવ્યું હતું કે ખોટી રીતે ધિરધાર કરનાર અને ઉંચા દરથી વ્યાજે નાણાં આપનાર વિરુદ્ધ હાલ સમગ્ર ગુજરાતમાં ઝુંબેશ ચાલી રહી છે. જેના ભાગરૂપે ભરૂચ જિલ્લામાં પણ લોક દરબાર કાર્યક્રમ યોજાઇ રહ્યા છે. એક્ટ વિશે બહુ ઓછા લોકોને જાણકારી હોય છે. તે માટે લોકોમાં જાગૃતિ આવે તે માટે હાલ ગુજરાત સરકાર તરફથી ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. વ્યાજ લેનાર વ્યાજ ચૂકવી ન શકે ત્યારે આંત્યંતિક પગલું ભરી લે છે ભરૂચ જિલ્લામાં ૪૦ જેટલા લોક દરબાર કાર્યક્રના આયોજન કરવામાં આવ્યા છે અને હાલ વ્યાજખોરો વિરુદ્ધ ચાર જેટલા ગુના પણ દાખલ કરવામાં આવ્યા છે.
વ્યાજ એક વિષચક્ર હોવાનું તેઓએ જણાવ્યું હતું. ૧૫ ટકા લેખે લીધેલા વ્યાજના ગુના પણ પોલીસ દ્વારા દાખલ કરવામાં આવ્યા છે વ્યાજ ધિરનાર વ્યાજ લેનાર પાસેથી મિલકતો લખાવી લે છે, વાહનો અને દુકાનો પણ લઈ લે છે. વ્યાજખોરો તરફથી ધાક ધમકી મળે તો આઇપીસી એક્ટ હેઠળ ગુનો દાખલ થાય છે. વ્યાજખોરોનો ત્રાસ હોય તો સામે આવીને પોલીસને જાણ કરવા તેઓએ અનુરોધ કર્યો હતો. જે લોકો વ્યાજખોરોનો ભોગ બને તેઓને પોલીસમાં જાણ કરવા પણ જણાવવામાં આવ્યું હતું.
ત્યારબાદ વડોદરા રેન્જ આઈ જી પી એ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે સમાજમાં જે દૂષણ વ્યાપી જવા પામ્યું છે. તેના વિરુદ્ધ સરકાર દ્વારા વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે આ બાબતે સી આઇ ડી ક્રાઇમ પણ સતત મોનિટરિંગ કરી રહી છે અને સરકાર પણ આ બાબતે ગંભીર બની છે લોકોમાં જાગૃતિ આવે એ હેતુસર લોક દરબાર કાર્યક્રમ આયોજિત થઈ રહ્યા છે. તેઓએ લોકોને અન્યાય સહન ન કરવા અનુરોધ કર્યો હતો. વ્યાજખોરો વિરુદ્ધ બંધ કવરમાં અરજી આપવા અને હિંમત રાખી પોલીસનો સંપર્ક કરવા જણાવ્યું હતું. ૩૧મી જાન્યુઆરી સુધી વ્યાજખોરો વિરુદ્ધ ડાઇવ રાખવામાં આવી છે અને આગળ પણ ચાલુ રહેશે એમ તેઓએ જણાવ્યું હતું.
આ બાબતે ગૃહમંત્રી પણ સતત સમીક્ષા કરી રહ્યા છે એમ તેઓએ જણાવ્યું હતું. અંતમાં પાલેજ પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર શિલ્પા દેસાઈએ આભાર વિધિ સાથે કાર્યક્રમનું સમાપન કરાવ્યું હતું. આયોજિત લોક દરબાર કાર્યક્રમમાં ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક ડો. લીના પાટીલ, વડોદરા રેન્જ આઈજીપી, ભરૂચ જિલ્લા નાયબ પોલીસ અધિક્ષક, પાલેજ પોલીસ મથકના તાબા હેઠળના ગામોના સરપંચો સહિત નગરના અગ્રણીઓ તેમજ મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.
યાકુબ પટેલ, પાલેજ