ભરૂચ તાલુકાના ટંકારીયા ગામમાં નિર્માણ પામનાર અદ્યતન હોસ્પિટલનો પાયાવિધિ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચના ટંકારીયાના ગ્રામજનોનું વર્ષો જુનું શમણું સાકાર થવા જઈ રહ્યું છે. ટંકારીયા – પારખેત માર્ગની બાજુમાં સાડા આઠ વીંઘા જમીનમાં અંદાજિત દસ કરોડ રૂપિયાના ખર્ચે પચાસ બેડની સુવિધા ધરાવતી એક વિશાળ અદ્યતન સુવિધાઓથી સજ્જ હોસ્પિટલ આકાર પામશે. રવિવારના રોજ મોટી સંખ્યામાં ઉપસ્થિત ગ્રામજનોની હાજરીમાં હોસ્પિટલનો પાયાવિધિ કાર્યક્રમ યોજાયો હતો. ટંકારીયા ખાતે કાર્યરત સેવાભાવી સંસ્થા અંજુમને નુસરતુલ મુસ્લેમીન દ્વારા અદ્યતન હોસ્પિટલનું નિર્માણ કરવામાં આવશે.
કાર્યક્રમનો પ્રારંભ તિલાવતે કુરાન શરીફથી કરાયો હતી. ત્યારબાદ નામાંકીત આલીમે નાઅત શરીફના ગુલદસ્તા રજૂ કરી હાજરજનોના હૈયા ડોલાવ્યા હતા. ત્યારબાદ ટંકારીયા ગામના તબીબ શોયેબ દેગ દ્વારા હોસ્પિટલના નિર્માણની સરાહના કરી નિર્માણ પામનાર હોસ્પિટલને ગ્રામજનો માટે એક નજરાણું ગણાવ્યું હતું. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે હોસ્પિટલમાં કોઈ ભેદભાવ હોતો નથી. હોસ્પિટલને સહકાર આપવો એ આપણા સૌની ફરજ છે. હોસ્પિટલના નિર્માણ કાર્યમાં સૌને સહકાર આપવા અનુરોધ કર્યો હતો.
ત્યારબાદ મૌલાના ઇકબાલ ભોજા સાહેબે પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે માનવસેવાથી વધીને કોઈ સેવા નથી. જરૂરમંદોની દરકાર કરવાવાળા સૌથી શ્રેષ્ઠ છે. હોસ્પિટલની ચળવળ ૧૯૮૪ થી જ શરૂ થઇ ગઇ હતી. જે આજે પૂર્ણ થવા જઈ રહી છે. ટંકારિયા ગામમાં તબીબો મળી રહ્યા છે. એ ગામની સૌથી મોટી ખુશનસીબી છે. એમ તેઓએ જણાવ્યું હતું. ત્યારબાદ મૌલાના ગુલામ વસ્તાનવી સાહેબે પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે આજના આ મુબારક કાર્યક્રમને જેટલું મહત્વ આપીએ એટલું ઓછું છે. કોરોના મહામારીએ આપણા સૌની આંખો ખોલી નાંખી છે. આપણે આપણી પેઢીઓને સાયન્સ સાથે જોડવી પડશે એમ તેઓએ જણાવ્યું હતું. સાથે સાથે સેવાભાવી સંસ્થા અંજૂમને નુસરરતુલ મુસ્લેમીનના સંચાલકોને તેઓએ મુબારકબાદી આપી હતી. હોસ્પિટલનું કાર્ય ખુબ મોટું કાર્ય છે. એમાં આપણે સૌ જેટલી મદદ કરીશું એટલી ઓછી છે એમ તેઓએ જણાવ્યું હતું. હોસ્પિટલની સેવાથી વધીને કોઈ નેકી નથી એમ તેઓએ જણાવ્યું હતું. હોસ્પિટલના કામમાં સહભાગી બની મદદરૂપ બનવા તેઓએ હાકલ કરી હતી. અંતમાં આભારવિધિ સાથે કાર્યક્રમનું સમાપન કરાયું હતું. ત્યારબાદ હોસ્પિટલની પાયાવિધિ મૌલાના ગુલામ વસ્તાનવી સાહેબના મુબારક હસ્તે કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમને ટંકારીયા અંજુમન પરિવાર તેમજ ગામના નવયુવાનોએ ખડેપગે હાજર રહી સફળ બનાવ્યો હતો.
યાકુબ પટેલ, પાલેજ