દિવાળીના તહેવાર દરમિયાન ભરૂચ જિલ્લાની પ્રજાની સેવામાં ૧૯ જેટલી ૧૦૮ એમ્બ્યુલન્સના ૯૦ જેટલા કર્મચારીઓ લોકોની સેવા માટે ફરજમાં ચાલુ રહેશે.
આ અંગે મળતી વિગતો મુજબ દિવાળીના તહેવારોમાં કોઈ પણ ઇમર્જન્સીને પહોંચી વળવા ભરૂચ ૧૦૮ એમ્બ્યુલન્સની ટીમ સજ્જ રાખવામાં આવી છે. કોરોના મહામારી વચ્ચે પણ નાગરિકોમાં દિવાળીના તહેવારોની ઉજવણી માટે ઘણો ઉત્સાહ દેખાઈ રહ્યો છે, ત્યારે ૧૦૮ ઇમર્જન્સી સેવાના કર્મીઓ દ્વારા ભરૂચ જિલ્લાના નાગરિકોને દિવાળીની એડવાન્સમાં શુભકામનાઓ પાઠવવામાં આવી છે. ૧૦૮ ઇમર્જન્સીના અધિકારી અભિષેક ઠાકરના જણાવ્યા મુજબ કોઈ પણ સમયે કોઈપણ ઇમર્જન્સીને ઝડપથી પ્રતિસાદ આપવા માટે ૧૦૮ એમ્બુઅલન્સ ભરૂચની ટીમે તૈયારીઓ કરી લીધી છે. જે રીતે દર વર્ષે દિવાળી, નવું વર્ષ અને ભાઈબીજ આ ત્રણ મુખ્ય દિવસોમાં અકસ્માતના તેમજ અન્ય ઇમર્જન્સી કેસોમાં નોંધપાત્ર વધારો થાય છે. તેને પહોંચી વળવા ભરૂચ ૧૦૮ ના કર્મીઓ પોતે નોકરી પર હાજર રહીને તહેવારોની ઉજવણી કરશે, અને નાગરિકોને ઇમર્જન્સીમાં કોઈ અસુવિધા ઉભી ના થાય તેમાટે તૈયારીઓ સાથે ખડે પગે રહેશે.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ