અંકલેશ્વરમાં તસ્કરો બેફામ બન્યા છે રાત્રી સહીત હવે ધોળા દિવસે પણ ચોરીના બનાવો ઘણા વધી રહ્યા છે ત્યારે રહીશોમાં રાત્રી સહીત દિવસમાં પણ મકાન બંધ કરી અને બહાર નીકળવું મુશ્કેલ બન્યું છે.
અંકલેશ્વર તાલુકાના જીતાલી ગામની નવી નગરીમાં તસ્કરોએ એક મકાનને નિશાન બનાવ્યું હતું. સોના-ચાંદીના ઘરેણાં અને રોકડા રૂપિયા 26 હજાર મળી કુલ 2.30 લાખથી વધુની મત્તાની ચોરી કરી તસ્કરો ફરાર થઈ ગયા હતા. અંકલેશ્વરનાં સેંગપૂર રોડ ઉપર આવેલા જીતાલી ગામની નવી નગરીમાં રહેતી ઉજમબેન દીપસિંગ વસાવા ગતરોજ પોતાના ઘરે હતાં તે દરમિયાન ફળિયામાં રહેતા એક બાળકને પોતાના ઘરે રમવા માટે લઈ આવ્યાં હતા જે બાદ તેઓ બાળકને તેના ઘરે મૂકવા ગયા હતા તે સમયે તસ્કરોએ તેઓના મકાનને નિશાન બનાવ્યું હતું.
તસ્કરોએ મુખ્ય દરવાજો ખોલી ઘરમાં પ્રવેશ કર્યો હતો અને રૂમમાં મુકેલ તિજોરીનો વચ્ચેનો દરવાજો તોડી તેમાં રહેલા સોનાના ઘરેણા વજન આશરે-૨૭ ગ્રામ કિ.રૂ.૧,૨૧,૫૦૦/- તથા ચાંદીના દાગીના વજન આશરે-૧૩૦૦ ગ્રામ કિ.રૂ.૮૩,૨૦૦/- તથા રોકડા રૂપિયા-૨૬,૦૦૦/- મળી કુલ રૂપિયા-૨,૩૦,૭૦૦/- ની ચોરી કરી ચોર ફરાર થઈ ગયા હતા. ત્યારે આ ચોરીની ઘટના અંગે અંકલેશ્વર રૂરલ પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મુકેશ વસાવા : અંકલેશ્વર