ગુજરાતમાં કોરોનાની બીજી લહેર ધીમી પડી છે. બીજી તરફ રસીકરણ ઝડપી બનાવવામાં આવી રહ્યું છે. ત્યારે અમદાવાદ કોર્પોરેશને રસીકરણને લઈને મોટો નિર્ણય લીધો છે. AMTS અને BRTS માં મુસાફરી કરવા રસીકરણ ફરજિયાત કરવામાં આવ્યું છે. બધા લોકો રસી લે તેવી મેયરે અપીલ કરી છે. રસી એકમાત્ર કોરોના સામેનો ઉપાય હોવાનું અમદાવાદના મેયર કીરીટ પરમારે જણાવ્યું હતું.
AMTS અને BRTS માં મુસાફરી કરતા લોકો ફરજિયાત રસી લીધેલી હોવી જોઇએ. ગુજરાત સરકારના નિર્ણય પ્રમાણે, અમદાવાદમાં પ્રવેશતા દરેક પ્રવાસીઓનો કોરોના ટેસ્ટ કરવામાં આવે છે અને ફ્લાઇટમાં પ્રવાસીઓ મહારાષ્ટ્ર કે અન્ય કોઈપણ સ્થળો પરથી આવે તો તેમને ત્યાંથી જ ટેસ્ટિંગ કરાવીને આવવાનું હોય છે, પરંતુ જો કોઈ મુસાફરે ટેસ્ટ ન કરાવ્યો હોય તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એરપોર્ટ પર જ ટેસ્ટ કરવામાં આવે છે.
જો એરપોર્ટ પર કરેલા ટેસ્ટમાં કોઈ પ્રવાસી પોઝિટિવ જણાય તો ત્યાંથી જ તેમને હોસ્પિટલમાં અથવા ઘરે ક્વોરન્ટીન કરવામાં આવે છે. 18 વર્ષથી વધુના યાત્રીઓએ મુસાફરી માટે રસીકરણનું સર્ટિફિકેટ આપવું પડશે. મોબાઇલમાં રસી લીધાનો મેસેજ મુસાફરી માટે માન્ય ગણાશે, તેમ પણ મેયરેે જણાવ્યું હતું.