ગુજરાત હાઈકોર્ટ દ્વારા રાજ્યમાં રખડતા ઢોરને પકડવા માટે તંત્ર સામે લાલ આંખ કરી હતી. જેથી તંત્ર હરકતમાં જોવા મળી રહ્યું છે. તંત્ર દ્વારા શહેરમાં જેટલા પણ ઢોર રસ્તા પર રખડતા જોવા મળી રહ્યા છે તેઓને પકડી પાંજરાપોળમાં મોકલવામાં આવી રહ્યા છે. ત્યારે આજે અમદાવાદમાં માલધારી સમાજ દ્વારા રખડતા ઢોરને પકડવાને લઈ વિરોધ કરવામાં આવ્યો હતો. શહેરના બાપુનગરથી લાલદરવાજા સુધી માલધારી વેદના રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મોટી સંખ્યામાં માલધારી સમાજના લોકો જોડાયા હતા. તેઓએ માંગ કરી છે કે ઢોર અંકુશ નિયંત્રણ કાયદો રદ કરવામાં આવે. શહેરીકરણ બંધ કરી અને માલધારીઓને અલગ વસાહત બનાવી વૈકલ્પિક વ્યવસ્થા આપવામાં આવે.
માલધારી સમાજની માંગણીઓ
શહેરી વિસ્તારોમાં ગામડા ભેળવવાનું બંધ કરો, માલધારી વસાહતો બનાવી વૈકલ્પિક વ્યવસ્થા આપો, નિર્દોષ રાહદારીઓને અકસ્માતથી માલધારી સમાજ દુઃખી, સત્તાધીશો સુખદ નિવારણ લાવવામાં નિષ્ફળ, વાડાઓમાંથી પશુઓ ઝુટવી જવાનું સત્તાધીશો બંધ કરે, માલધારીઓ ઉપર ખોટા પોલીસ કેસ અને મારઝૂડ સત્તાધીશો બંધ કરે, ઢોર અંકુશ નિયંત્રણ કાયદો, તે કાયદો રોડ ઉપરથી પશુ હટાવવાનો છે જ નહીં, ગૌચરોની જમીનો ગળી જવાનો કાળો કાયદો રદ્ કરો, માલધારીઓને બેરોજગાર બનાવનું સત્તાધીશો બંધ કરો, સત્તાધીશો સત્તામાં નહોતા ત્યારે ગાય માતા હતી હવે ગાય રખડતું ઢોર બની ગયું, ડબ્બામાં પુરેલી ગાયો દંડ લઈને છોડવાનાં કાયદાનું પાલન કરો, માલધારી સમાજ ગાયો છુટી મુકે છે તેઓ સત્તાધીશો ભ્રામક પ્રચાર બંધ કરો, શહેરી વિસ્તારમાં ઘરે રાખતા પશુઓ માટે ઘાસ-ચારો સત્તાધીશોએ બંધ કરાવ્યો છે તે જાહેરનામું પરત ખેંચો.