સામાન્ય રીતે ગણેશજીની મૂર્તિ પીઓપી અથવા માટીમાથી બનાવાતી હોય છે. પરંતુ ગાયના છાણમાંથી ગણેશજીની મૂર્તિ બનાવી હોય એવુ ક્યારેય સાંભળ્યું છે ? હા, રાજપીપલાના શ્રીજી મેડિકલ સ્ટોરના માલિક રાજેન્દ્ર પટેલે ગાયના છાણમાંથી પ્રાકૃતિક ઇકો ફ્રેન્ડલી નાનકડી ગણેશનીમૂર્તિ બનાવી સંતોષ ચાર રસ્તા પાસે મંડપમાં ગણેશ સ્થાપના કરવામાં આવી છે.
રાજેન્દ્ર પટેલના જણાવ્યા અનુસાર આપણે બધી જે મૂર્તિઓ લાવીએ છીએ તે પીઓપીની હોય છે. જે પાણીમાં વિસર્જન કરીએ ત્યારે પાણીમાં ઓગળતી નથી. પણ મે ગાયના છાણમાથી મૂર્તિ બનાવી લોકોને પર્યાવરણનો મેસેજ આપવા માંગુ છું. ગાયના છાણમાંથી બનાવેલ ઇકો ફ્રેન્ડલી મૂર્તિનું વિસર્જન કરવાથી તેનું ખાતર બની જાય છે અને પ્રદુષણ પણ થતું નથી. પીઓપીની મૂર્તિ નદી તળાવમા વિસર્જન કરવાથી જળ સૃષ્ટિને નુકશાન થાય છે તેથી નદીમાં વિસર્જન ન કરતા ઘરમાં જ ડોલમાં સાદા પાણીમાં વિસર્જન કરશું.
એક નવતર પ્રયોગ ગાયનાં છાણમાંથી મૂર્તિ બનાવેલી છે અને સુંદર મૂર્તિ એમણે ઘરે જ બનાવી અને પેઇન્ટિંગ કરી સ્થાપિત કરી છે અને હવે આનંદ ચૌદશના દિવસે એ જ મૂર્તિ ડોલમાં વિસર્જિત કરી પછી એ પાણી તુલસીના ક્યારામાં કે ફૂલ ઝાડમા વેરી દેવામાં આવશે. આ એક અન્યો માટે પ્રેરણારૂપ ઉદાહરણ કહી શકાય. આવી રીતે પ્રત્યેક નાગરિક પીઓપી નો ઉપયોગ બંધ કરે અને ઇકો ફ્રેન્ડલી મૂર્તિની સ્થાપના કરી ઘરે જ વિસર્જિત કરે તો નદીને પ્રદુષિત થતી બચાવી શકાય.
જ્યોતિ જગતાપ, રાજપીપલા