સૌને ઘરનું ઘર મળી રહે તેવા આશયથી વન, આદિજાતિ મંત્રીગણપતસિંહ વસાવાએ પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ માંગરોળ તાલુકાના રૂા.૪.૫૨ કરોડના ખર્ચના ૩૭૭ આવાસો તથા ઉમરપાડા તાલુકાના રૂ.૧૩ કરોડના ખર્ચે નિર્માણ થનારા ૧૦૯૪ જેટલા આવાસોના લાભાર્થીઓને મંજુરીપત્રોનું વિતરણ કર્યું હતું.
વાંકલ સાયન્સ કોલેજ ખાતે યોજાયેલા સમારોહને સંબોધન કરતા મંત્રી વસાવાએ જણાવ્યું હતું કે, દરેક વ્યકિતને જીવનમાં એક સ્વપ્ન હોય છે કે, મારૂ ઘરનું ઘર હોય, આ સ્વપ્નને સાકાર કરવા માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અથાગ પ્રયાસો કરી રહ્યા છે. ગરીબો, ખેડુતો અને વંચિતોને વરેલી સરકાર હોવાનું જણાવતા મંત્રીએ કહ્યું કે, પ્રધાનમંત્રી આવાસ યોજના માટે હેઠળ રૂા.૧.૨૦ લાખ, મનરેગાના વીસ હજાર, શૌચાલય માટે રૂા.૧૨૦૦૦ સહિતના ખર્ચે આવાસનું નિર્માણ થશે.
આ પ્રસંગે ભરૂચની કોવિડ વેલ્ફેર હોસ્પિટલ ખાતે લાગેલી આગની દુર્ધટનામાં મૃત્યૃ પામનારા બે વ્યકિતના વારસદારોને મુખ્યમંત્રીના રાહત ફંડમાંથી ચાર-ચાર લાખના ચેકોનું વિતરણ મંત્રીશ્રીના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે તાલુકા પંચાયતના પ્રમુખ ચંદનબેન ગામીત, ઉપપ્રમુખ ભરતભાઈ, અગ્રણી દિપકભાઈ વસાવા, દિપ્તીબેન, અનિલભાઇ શાહ, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી તેમજ તાલુકા પંચાયતના તમામ સભ્યો તેમજ મોટી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
વિનોદ મૈસુરિયા : વાંકલ