કઠલાલ તાલુકામાં રહેતી ૨૦ વર્ષિય યુવતીના પુનઃ લગ્ન સાત માસ અગાઉ અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના અહમદપુરા ગામે રહેતા યુવાન સાથે થયા હતા. લગ્નના એકાદ માસ પછી સાસરીયાઓનો ત્રાસ સામે આવ્યો હતો. જેમાં પતિ તેણીને કહેતો કે, તને ખાવાનુ બનાવતા તેમજ કપડા ધોતા નથી આવડતું એટલે તારે આ કામ કરવું નહીં. ઉપરાંત તારે ખેતરમાં કામ કરવા જવાનુ છે કહી, ઘરમાં પતિ મારઝૂડ કરતો હતો. અને કહ્યું કે, મારે મોટરસાયકલ લાવવાનું છે તે માટે તારા પિતાના ઘરેથી રૂપિયા ૫૦ હજાર લઈ આવ તો જ તને ઘરમાં પેસવા દઈશું તેમ કહી ત્રાસ વર્તાવતો હતો. તો વળી સાસુ પણ ઘરના કામકાજ બાબતે તેણીની સાથે ઝઘડો કરતા હતા અને તારે ખેતરનું જ કામ કરવાનું છે તારે કોઈના પણ ઘરે બેસવા જવાનું નહીં તેમ કહી ત્રાસ આપતા હતા. તો સસરા પણ તેણીની સાથે ઝઘડો કરતા હતા. આ ઉપરાંત જેઠ પણ ખોટી ચઢામણી કરી પીડીતાને માર ખવડાવતા હતા.
પીડીતાનો ભાઈ તેણીના સાસરે આવતા સાસુએ કહેલ કે તારા ભાઈ માટે ચા બનાવી દે તેમ કહી સાસુએ પોતાની પુત્રવધુનું ગળુ દબાવી મારઝુડ કરી હતી. જે બાદ પાંચ જુનના રોજ સાસરીના લોકોએ પીડિતાને ઘરની બહાર કાઢી મૂકી હતી. ત્યારબાદ પીડીતાએ નડિયાદ મહિલા પોલીસ સ્ટેશનમાં અરજી આપી હતી. અરજી આપ્યા બાદ પોલીસે બંને પક્ષોના વડીલોને બોલાવી કાઉન્સિલિંગ કરી સમજાવી સમાધાન કરવાના પ્રયત્નો કર્યા હતા. પરંતુ સમાધાન ન થતા છેવટે પીડીતાએ પોતાના પતિ, સાસુ, સસરા અને જેઠ સામે મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
નરેશ ગનવાણી : નડિયાદ